આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રની સ્થાપના અમદાવાદમાં સને 1962માં થઈ હતી. આ સંસ્થા રાજ્યના આદિજાતિ સમુદાયો સંબંધિત સંશોધનો હાથ ધરે છે. હાલમાં રાજ્યમાં 25 જનજાતિઓ વસે છે, જેમાં 5 ગુજરાતના આદિમજૂથ (Primitive Tribe Groups)નો પણ સમાવેશ થાય છે. 1920માં મહાત્મા ગાંધી સ્થાપિત અને ગાંધીવિચાર આધારિત ગ્રામાભિમુખ, અહિંસક અને સંપોષિત સમાજરચના માટે કામકરી રહેલી ગૂજરાત વિદ્યાપીઠ (જે એક વિશ્વવિદ્યાલય પણ છે)નો જ એક હિસ્સો હતી. હાલમાં GTRTS બિરસા મુંડા ભવન ગાંધીનગર ખાતે કાર્યરત છે.
આ સંસ્થા ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગરની સહયોગી સંસ્થા તરીકે કાર્ય કરે છે. સંસ્થા આદિજાતિઓની સમસ્યાઓ વિશે સંશોધન અને મોજણી હાથ ધરીને તેમની તાકીદની સમસ્યાઓ સંબંધિત આવશ્યક માહિતી ઉપલબ્ધ કરવા માટેનું કાર્ય કરે છે. ક્ષેત્રમાંથી એકત્રિત માહિતીનાં વિશ્લેષણ પરથી અહેવાલ તૈયાર કરવામાં આવે છે. સંબંધિત સમસ્યાઓ ઉપર જ્ઞાનસત્ર/પરિસંવાદ/કાર્યશાળા પ્રયોજીને તે વહીવટી વિભાગને જરૂરી સૂચનો મોકલે છે.
સંસ્થાનું સંગ્રહાલય વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ, સામાન્ય નાગરિકો તેમ જ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણ છે, જેમાં ગુજરાતની આદિજાતિઓના પૂરાતત્વના શિલ્પો, તેમની કુટિરો અને તેમના કલા-કસબના સાધનો દર્શાવ્યાં છે.
કાર્યપાલક નિયામક આ સંસ્થાના વડા છે. સંસ્થાના કાર્યપાલક નિયામક અને સેવકો વિદ્યાકીય શાખામાંથી આવે છે. સંસ્થાના સેવકોની સંખ્યા અલબત્ત સીમિત છે, પરંતુ તેઓ આદિજાતિઓના જીવન અને તેમની જીવનપ્રવૃત્તિમાં આવતાં પરિવર્તનોમાં તીવ્ર રસ ધરાવે છે.
રસ ધરાવતા, અભ્યાસી સંશોધકો, વ્યક્તિઓ અને સમૂહોને આ સંસ્થા આદિવાસી ક્ષેત્રની આવશ્યક માહિતી પૂરી પાડે છે. રાજ્યમાં 26 જિલ્લાઓમાં પથરાયેલી આદિજાતિની વસ્તી 2011ની વસ્તી-ગણતરી અનુસાર રાજ્યની કુલ વસ્તીના 14.76 ટકા છે.